અર્પણ કાયદાવાલા: ગુજરાતમાં જો સૌથી વધુ કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો હોય તો તે અમદાવાદ છે. જ્યાં કોરોનાના સતત કેસ વધી રહ્યાં છે. સતત વધતા કેસો વચ્ચે અમદાવાદમાં નવી મુસીબત જોવા મળી રહી છે. સતત બે દિવસથી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભેદી દુર્ગંધના કારણે લોકો ત્રાહિમામ થયા છે. કોરોનાકાળમાં હવે અમદાવાદમાં આ નવી મુસીબતથી લોકો પરેશાન છે અને સાથે સાથે ભયનો પણ માહોલ છે.
શહેરના બોપલ, પ્રહલાદનગર, એસજી હાઈવે જેવા કેટલાક વિસ્તારોમાં બે દિવસથી કોઈ ભેદી દુર્ગંધના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ગઈ કાલે રાતે પણ નવ વાગ્યા બાદ દુર્ગંધના કારણે લોકો હેરાન પરેશાન થયા હતાં. રિપોર્ટ્સ મુજબ શનિવારે રાતે પણ લોકોએ ફાયર વિભાગને આવી જ કોઈ દુર્ગંધની ફરિયાદ કરી હતી. જો કે હજુ પણ આ દુર્ગંધ અંગે કોઈ જ ભાળ મળી નથી.
અત્રે જણાવવાનું કે અમદાવાદમાં કૂદકેને ભૂસકે કોરોનાના કેસ વધી રહ્યા છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલા છેલ્લા આંકડા મુજબ અમદાવાદમાં હાલ કોરોનાના 3817 કેસ છે જેમાંથી 208 લોકોના જીવ ગયા છે. ગત છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 274 કેસનો ઉમેરો થયો હતો જે ચિંતાજનક બાબત છે.
જુઓ LIVE TV
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાના 5428 કેસ હોવાની માહિતી આરોગ્ય વિભાગ દ્વારા અપાઈ છે. 290 જેટલા લોકોએ જીવ ગુમાવ્યાં છે. જ્યારે 1042 લોકો રિકવર થઈને ઘરે પાછા ફર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે